ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ કાનપુરમાં રમાઈ રહી છે. પરંતુ આ મેચ પહેલા વરસાદને કારણે રોકી દેવામાં આવી હતી અને શનિવારે બીજા દિવસે શરૂ થઈ શકી ન હતી. કાનપુરમાં વરસાદને કારણે ગ્રીનપાર્ક સ્ટેડિયમની પિચ અને ગ્રાઉન્ડ કવરથી ઢંકાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે ભારત અને બાંગ્લાદેશની ટીમો હોટલ પરત ફરી હતી.
બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 35 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા છે. પરંતુ આ પછી મેચ શરૂ થઈ શકી ન હતી. શનિવારે મેચના બીજા દિવસે કાનપુરમાં દિવસની શરૂઆત વરસાદ સાથે થઈ હતી. બપોરે 12 વાગ્યા સુધી મેચ શરૂ થઈ શકી ન હતી. આ કારણથી રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમ હોટલ પરત ફરી હતી. ટીમ ઈન્ડિયાની સાથે બાંગ્લાદેશી ખેલાડીઓ પણ હોટલ જવા રવાના થયા હતા.
બાંગ્લાદેશ તરફથી ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામ પ્રથમ દાવની શરૂઆત કરવા આવ્યા હતા. ઝાકિર શૂન્ય પર આઉટ થયો હતો. જ્યારે શાદમાન 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મોમિનુલ હક 40 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 81 બોલનો સામનો કર્યો અને 7 ચોગ્ગા ફટકાર્યા. નઝમુલ હુસૈન શાંતો 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે મુશ્ફિકુર રહીમ 6 રન બનાવીને અણનમ રહ્યો હતો.