ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરના લશ્કરી તણાવને કારણે બંધ કરાયેલા દેશના 32 એરપોર્ટ ફરી એકવાર નાગરિક ફ્લાઇટ્સ માટે ખોલવામાં આવ્યા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) એ સોમવારે એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી. AII એ ઔપચારિક રીતે આ એરપોર્ટ્સ પર તાત્કાલિક અસરથી ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.
અથડામણને કારણે એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષને કારણે, શ્રીનગર અને અમૃતસર જેવા મુખ્ય એરપોર્ટ સહિત દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં સ્થિત 32 એરપોર્ટ પરથી નાગરિક ફ્લાઇટ્સનું સંચાલન 9 મે થી 15 મે સુધી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) અને અન્ય ઉડ્ડયન સત્તાવાળાઓએ આ એરપોર્ટ્સને કામચલાઉ બંધ કરવાની માહિતી આપતા NOTAM (એરમેનને સૂચના) જારી કરી હતી. હવે પરિસ્થિતિમાં સુધારાના સંકેતો જોયા પછી, આ એરપોર્ટ્સને તબક્કાવાર ફરીથી ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ 32 એરપોર્ટ પર ફ્લાઇટ્સ શરૂ થઈ
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ની સૂચના અનુસાર, બંધ કરાયેલા તમામ 32 એરપોર્ટ પર ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ગઈ છે. આ એરપોર્ટમાં ઉધમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડોન, જમ્મુ અને જેસલમેર, જામનગર, જોધપુર, કંડલા, કાંગડા (ગગ્ગલ), કેશોદ, કિશનગઢ, કુલુ મનાલી (ભુંતર) અને લેહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લુધિયાણા, મુન્દ્રા, નલિયા, પઠાણકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ (હીરાસર), સરસાવા, શિમલા, શ્રીનગર, થોઈસ અને ઉત્તરલાઈમાં પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

